ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
લીંબુ વર્ગના ફળપાકોમાં પાનકોરિયું (લીફ માઇનર)
• લીંબુવર્ગની નર્સરીમાં આ જીવાતનો ઉપદ્રવ વધારે જોવા મળે છે.
• પાનકોરીયાની ઈયળ આછા પીળા કે આછા લીલા રંગની હોય છે.
• ઈયળ પાનના બે પડ વચ્ચે રહી સર્પાકાર બોગદું બનાવે છે. જે ચળકતું સફેદ રંગનું દેખાય છે.
• આ જીવાત જીવાણુંજન્ય બળીયા ટપકાં (સીટ્રસ કેન્કર) નામનો રોગ ફેલાવવામાં મદદ કરે છે.
• આ જીવાતના નુકસાનથી પાન વળી પણ જાય છે કે જેમાં ક્યારેક મીલીબગ સંતાઇ રહે છે.
• લીંબુમાં નવી ફુટ નીકળતી હોય ત્યારે છટણી કરવી નહીં. છટણી ફક્ત શિયાળામાં જ કરવી.
• નવી ફૂટ પછી એક વાર કઠણ પાન થઇ જાય પછી આ જીવાતનો ઉપદ્રવ ઓછો રહેતો હોય છે.
• વારંવાર અને વધારે પડતા નાઈટ્રોજનયુકત ખાતરો અને વધારે પડતા પિયત આપવા નહિ.
• ડ્રીપ ઇરીગેશન ધરાવતી વાડીમાં આ જીવાતનો ઉપદ્રવ ઓછો રહેતો હોય છે.
• નાના છોડના થડ ઉપર કેટલીક વાર પીલા નીકળતા હોય છે, જે આ જીવાતને આશ્રય આપે છે. આવા પીલા દુર કરવા.
• ખાસ કરીને નર્સરીમાં ઉપદ્રવિત પાન તોડી લઇ નાશ કરવા.
• આ જીવાતના હવે ફેરોમોન ટ્રેપ ઉપલબ્ઘ થયા છે, એકરે ૫ પ્રમાણે મૂંકવા.
• ઉપદ્રવની શરૂઆતમાં લીમડાનું તેલ ૫૦ મિ.લિ. અથવા લીમડા અધારિત તૈયાર દવા ૨૦ મિલિ (૧ ઇસી) થી ૪૦ મિલિ (૦.૧૫ ઇસી) અથવા લીમડાનો ખોળ ૧ કિ.ગ્રા. (કસ) અથવા લીમડા/નફ્ફટિયાના પાન ૧ કિ.ગ્રા. (કસ) પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
• વધુ ઉપદ્રવ વખતે ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૫ મિલિ અથવા મિથાઇલ-ઓ-ડેમેટોન ૨૫ ઇસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. જમીનમાં છોડ/ઝાડની આજુબાજુ કાર્બોફ્યુરાન ૩ જી દાણાદાર દવા હેક્ટરે ૩૦ કિ.ગ્રા. અથવા ફોરેટ ૧૦ જી ૧૫ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર પ્રમાણે આપવી.
• આ જીવાતનો ઉપદ્રવ નવા પાન ઉપર વધારેમાં વધારે રહેતો હોવાથી નવી ફૂટ વખતે દવાના છંટકાવ વ્યવસ્થિત કરવા.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
આપેલ પાક માહિતી ને લાઈક કરીને ને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.