સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
પિંજર પાકનું વાવેતર કરી ધાન્ય તેમજ બાગાયતી પાક માં કરો રોગ જીવાતનું નિયંત્રણ !
મુખ્ય પાકના ખેતરની ફરતે અથવા અંદર જીવાતને વધુ પસંદ હોય તેવા પાકને નાના વિસ્તારમાં વાવવા તેવા પાકને પિંજર પાક કહેવામાં આવે છે કે જેનો આશ્રય ઉત્પાદન લેવાનો હોતો નથી. મુખ્ય પાકની જીવાતની પુખ્ત માદા પિંજર પાક ઉપર વધારે ઇંડા મૂકવાનું પસંદ કરતી હોય છે. આમ થવાથી મુખ્ય પાકને જીવાતથી થતા નુકસાનને ઘટાડી શકાય છે. પિંજર પાક કરવાથી જૈવિક નિંયત્રકોની વસ્તીમાં પણ વધારો થતો હોય છે.
કેટલાક પિંજર પાકોના ઉદાહરણો:
• કોબીજની ફરતે અને દરેક ૨૫ હરોળ પછી રાઇની બે હરોળ ઉછેરવાથી કોબીજને નુકસાન કરતી હીરાફૂદી રાઇના છોડ ઉપર ઇંડાં મૂકવાનું વધારે પસંદ કરે છે. આમ કોબીજમાં થતું નુકસાન ઘટાડી શકાય છે. સાથે સાથે કોબીજમાં મોલોનો ઉપદ્રવ પણ ઓછો રહે છે.
• કપાસ અને ટામેટા જેવા પાકમાં ખેતરની ચારે બાજુ તેમજ ૧૦ હરોળ પછી એક-બે હજારીગોટાના છોડ ઉછેરવાથી લીલી ઇયળના ફૂદા હજારીના ફૂલો ઉપર ઇંડાં મૂકવાનું વધારે પસંદ કરે છે. સમયાંતરે, પાકટ હજારીના ફૂલો તોડતા રહેવું.
• કપાસ, મગફળી, તમાકુ જેવા પાકમાં નુકસાન કરતી પાન ખાનાર ઇયળના અટકાવ માટે ખેતરની આજુબાજુ અને વચ્ચે પણ પિંજર પાક તરીકે દિવેલા ઉછેરવા. દિવેલા ઉપર મૂકાયેલ ઇંડાંના સમૂહોને સમયાંતરે પાન સહિત તોડી નાશ કરવા.
• ટામેટીની આજુબાજુ તેમ જ આંઠ હરોળ પછી પાનકોરિયાના પિંજર પાક તરીકે હજારીના છોડવા રોપવા.
• લીંબુ વર્ગના પાકમાં આવતી પાનકોરિયાના પિંજર પાક તરીકે ટામેટાના છોડ રોપવા.
• મકાઇમાં આવતી લશકરી ઇયળના પિંજર પાક તરીકે ખેતરની આજુબાજુ નેપિયર ઘાસ ઉછેરવું.
• મગફળી, સોયાબીન, ચોળા જેવા પાકમાં આવતા કાતરા માટે પિંજર પાક તરીકે ખેતરની આજુબાજુ શણ ઉગાડવા.
• કોબીજની આજુબાજુ મૂળા એક પિંજર પાક તરીકે વાવવાથી ફ્લી બીટલનું નિંયત્રણ થાય છે.
ધ્યાને રાખવાના મુદ્દા:
• પિંજર પાકની વાવણી મુખ્ય પાકની સાથે અથવા વહેલી કરવી.
• પિંજર પાક ઉપર કોઇ પ્રકારની જંતુનાશકોનો છંટકાવ કરવો નહીં.
• પિંજર પાકોના ઉછેર માટે જરુરી ખેતી કાર્યો અવશ્ય કરતા રહેવું.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ ઉપયોગી માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.