ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
બોર્ડો મિશ્રણ ઘરે જાતે બનાવીને ઉપયોગ કરો અને પાકના અગણિત રોગોને રોકો !
👉 બોર્ડો મિશ્રણની શોધ ફ્રાંસની બોર્ડો યુનિવર્સિટીના ડો. મિલાર્ડેટે સને ૧૮૮૨માં કરી પાકના વિવિધ રોગ-થામ માટે ઉપયોગ કરેલ.
👉 ધરુવાડિયા અને ફળ અને શાકભાજીના પાકોમાં જીવાણૂં અને ફૂગથી થતા રોગોના અટકાવ માટેની એક અકસીર દવા સાબિત થયેલ છે.
👉 સૌ પ્રથમ બોર્ડો મિશ્રણ છાંટવાના એક દિવસ અગાઉ ૧ કિલોગ્રામ મોરથૂથું એક પ્લાસ્ટિકની ડોલ અથવા માટીના વાસણમાં નાખી તેમાં ૧૦ લિટર પાણી નાખી હલાવો. જેથી મોરથૂથુ ઓગળી જાય.
👉 ચૂનો ઓગાળવા માટીનું વાસણ લેવું કારણ કે ચૂનામાં પાણી ઉમેરાતાં તેમાં ગરમી પેદા થશે.
👉 ૧ કિલો ચૂનામાં ધીમે ધીમે ૧૦ લિટર પાણી ઉમેરતા જવું. ચૂનો ઓગળતો જશે.
👉 બીજા દિવસે બોર્ડો મિશ્રણનો ઉપયોગ કરવાનો હોય તે પહેલાં ચૂનાનું નિતર્યું દ્રાવણ ગાળી, મોરથૂથુવાળા દ્રાવણમાં આ ચૂનાનું પાણી ઉમેરતા જાઓ અને દ્રાવણને હલાવતા જાઓ.
👉 લોખંડના ચપ્પાને કે જેના ઉપર કાટ ન હોવો જોઈએ અથવા બ્લેડને આ મિશ્રણના દ્રાવણમાં એકાદ મિનિટ સુધી બોળી રાખવું.
👉 ચપ્પાને કે બ્લેડને કાટ લાગે અથવા રતાશ પડતું થાય તો તેમાં બીજો ચૂનો ઓગાળીને રેડવો અને ફરીથી ટેસ્ટ કરવો.
👉 ટેસ્ટ કરતા પહેલાં ચપ્પા ઉપરનો કાટ દૂર કરવો. ચપ્પાને કાટ લાગતો બંધ થવો જોઈએ. ચપ્પાને કાટ લાગતો બંધ થાય ત્યારે દ્રાવણ તૈયાર થયેલું સમજવું.
👉 આવું મિશ્રણ છંટકાવ માટે સલામત છે તેમ કહી શકાય.
👉 આ મિશ્રણમાં બાકીનું પાણી ઉમેરી ૧૦૦ લિટર મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. આમ ૧ ટકાનું બોર્ડો મિશ્રણ તૈયાર થયેલું ગણાય.
👉 ત્યાર બાદ જરૂરિયાત મુજબ ગાળીને પંપમાં ભરીને છંટકાવ કરવામાં આવે છે.
👉 આ મિશ્રણ લીંબુ માં બળિયા ટપકાં અને ગુંદરિયો રોગ, પપૈયામાં ધરુ અને થડનો કહોવારો, દાડમમાં સુકારો અને ફળનો કહોવારો, દ્રાક્ષમાં તળછારો, આંબામાં કાળી ડાળીનો રોગ વગેરે રોગો માટે આ મિશ્રણનો ઉપયોગ કરી શકાય.
👉 કોઇ પણ શાકભાજી માટે કરેલ ધરુવાડિયામાં ધરુના કહોવારાના નિયંત્રણ માટે આ મિશ્રણ ખૂબ જ સસ્તો અને અસરકાર પુરવાર થયેલ છે.
👉 શાકભાજીના પાકો જેવા કે ડૂંગળી, બટાટા, રીંગણ, ટામેટા, કોબીજ, કોલીફ્લાવર, મરચી, ડૂંગળી, લશણ, આદુ, અને વેલાવાળા શાકભાજી તેમજ ફૂલ-છોડની ખેતીમાં આવતા રોગો જેવા કે આગોત્તરો/ પાછોત્તરો સુકારો, કહોવારો, તળછારો, ભૂકી છારો, એનથ્રેક્નોઝ, કાળા ટપકાંનો રોગ વિગેરે સામે આ મિશ્રણ અસરકારક છે.
👉 આ મિશ્રણની મર્યાદા એ છે કે મિશ્રણને બે દિવસથી વધારે સંગ્રહ કરી શકાય નહિ. ઠંડા અને વાદળછાયું વાતાવરણમાં છંટકાવ કરવાથી ક્યારે ક છોડ ઉપર વિપરીત અસર થઇ શકે છે. આ મિશ્રણ મકાઇ, સફરજન અને ડાંગરમાં ઉપયોગ કરી શકાતો નથી.
👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.